Surat|Kamrej : રૂ.૩.૭૦ કરોડના ખર્ચે નિર્મિત કામરેજ પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નવનિર્મિત અદ્યતન સ્કુલ બિલ્ડીંગથી કામરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ સુવિધા પ્રાપ્ત થશે
--------
મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી બાળકો આધુનિક-ડિજીટલ શિક્ષણ મેળવી રહ્યા છે
રાજ્ય સરકાર દ્વારા કામરેજ તાલુકામાં ૧૮,૦૦૦ વારમાં સાયન્સ કોલેજ નિર્માણ પામશે
:* શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા*
--------
સુરતઃશનિવાર: સુરત જિલ્લાના કામરેજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ.૩.૭૦ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ૧૬ વર્ગખંડયુક્ત કામરેજ પ્રા.શાળાના નવા ભવનનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી કામરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ સુવિધા પ્રાપ્ત થશે.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર સહિતની પહેલ આજે દેશભરમાં પ્રેરક-અનુકરણીય બની છે.
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સ્કૂલ ઓફ મિશન અંતર્ગત કામરેજમાં દર મહિને એક નવી શાળાનું લોકાર્પણ થઈ રહ્યું છે એમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી બાળકો આધુનિક-ડિજીટલ શિક્ષણ મેળવી રહ્યા છે. ગુજરાતમાં બે લાખથી વધુ બાળકોએ પ્રાઈવેટ શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લીધું છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજ્યમાં બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બેસ્ટ શિક્ષણ મળશે. વેલંજા અને ખોલવડ ગામે સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ અત્યાધુનિક સુવિધાઓ સાથેની શાળાને મંજૂરી મળી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કામરેજ તાલુકામાં ૧૮,૦૦૦ વારમાં સાયન્સ કોલેજનું ભૂમિપૂજન થશે એમ તેમણે કહ્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે સરકાર પણ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, નવા વર્ગખંડો, નવી શાળાઓ સહિતના અનેકવિધ પગલાંઓ લઈ રહી છે, ત્યારે આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ગ્રામજનો પણ સરકારના આ શિક્ષા અભિયાનમાં સહભાગી થઈ બાળકોને શિક્ષિત અને દીક્ષિત બનાવે તે જરૂરી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ વેળાએ શાળા પરિસરમાં મંત્રીશ્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી અને ડે.કલેકટર વી.કે.પીપળીયા, અગ્રણી ભારતીબેન રાઠોડ, ડીવાયએસપી આર આર સરવૈયા, પ્રાંત અધિકારી, મામલતદાર, કામરેજ ગામ સરપંચ કિંજલબેન શાહ, જિ. આચાર્ય સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
#smartschool #education #school #elearning #gujarat #surat
રૂ.૩.૭૦ કરોડના ખર્ચે નિર્મિત કામરેજ પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...
Posted by Information Surat GoG on Saturday, August 10, 2024
0 Comments