Editors Choice

3/recent/post-list

આદિજાતિ વિશેષ: આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલી

 આદિજાતિ  વિશેષ: આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલી

નવસારી જિલ્લાના ચિખલી તાલુકા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા સર્વસમાવેશક બાબતો થકી સમાજના ઉત્થાન અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ

ગત વર્ષ દરમિયાન નવસારી જિલ્લાની આદર્શ નિવાસી શાળા(કન્યા) ચીખલીની ૧૦ વિદ્યાર્થીનીઓ MBBS, BHMS-Homeopathyમાં ૦૪ અને Physiotherapyમાં ૦૨ જેટલી વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો

સંકલન-વૈશાલી પરમાર 

 નવસારીઃતા.23: ભારત દેશની સૌથી મોટી શક્તિ જ આપણી વિવિધતામાં છે. દરેક સમાજ પોતાની સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી દેશની પ્રગતિમાં પોતાનું આગવું યોગદાન આપે છે. સરકાર દ્વારા તમામ સમાજની પારંપારિક ઓળખને સુરક્ષિત રાખી, પ્રત્યેક સમાજના શૈક્ષણિક, આર્થિક, સામાજિક, આરોગ્યલક્ષી તેમજ સર્વાંગીક વિકાસ પ્રત્યે સંવેદનશીલ રહી નીતિ, અભિયાનો, કાર્યક્રમો અને યોજનાઓ ઘડવામાં આવે છે. આ તમામ સર્વસમાવેશક બાબતોને કેન્દ્રમાં રાખી ગુજરાત રાજય સહિત નવસારી જિલ્લામાં પણ આદિજાતિઓ માટેની કલ્યાણકારી યોજનાઓને અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવે છે. 

નવસારી જિલ્લાના ચિખલી તાલુકા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા સર્વસમાવેશક બાબતો થકી સમાજના ઉત્થાન અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. આદર્શ નિવાસી કન્યા શાળા વર્ષ-૧૯૯૦થી કાર્યરત થઇ હતી. આ શાળામાં ચિખલી, ગણદેવી, વાંસદા, સહિત ધરમપુર, વાપી, પારડી, કપરાડા, વ્યારા, ડોલવણ અને ડાંગથી પણ વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવી સરકારની સુવિધાનો લાભ લઇ રહ્યા છે. આ વર્ષે કુલ-૩૬૮ વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો છે. 


આદર્શ નિવાસી કન્યા શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ 

કન્યા શાળામાં ધોરણ-૦૯, ૧૦ અને ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહ ચાલે છે. શાળામાં ૧૦ કલાસરૂમ, એક લાઇબ્રેરી, ૦૨ લેબ સહિત પ્રાર્થના ઘર, મેપરૂમ, અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે. છાત્રાલયની વાત કરીએ તો ૧૭ રૂમ ૦૮ હોલ, ૩૧ શૌચાલય, ૨૫ બાથરૂમ, રસોડુ અને ડાયનિંગ હોલની સુવિધા સરકારશ્રી તરફથી વિદ્યાર્થીનીઓને નિ:શુલ્ક આપવામાં આવે છે. 

એક તરફ શાળામાં શિક્ષકો દ્વારા જ્ઞાન જ્યારે બીજી તરફ પોષ્ટીક ભોજન થકી વિદ્યાર્થીનીઓના સાર્વાંગી વિકાસ માટે શાળા સતત પ્રયત્નશિલ રહી છે. જેના સફળ પ્રયાસોના ભાગરૂપે ગત વર્ષ દરમિયાન નવસારી જિલ્લાની આદર્શ નિવાસી શાળા(કન્યા) ચીખલીની ૧૦ વિદ્યાર્થીનીઓ MBBS, BHMS-Homeopathyમાં 4 અને Physiotherapyમાં 2 જેટલી વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવેલ છે.


ખાનગી શાળાઓ પાછળ ઘેલા વાલીઓ માટે આ બાબત જાણવા જેવી છે કે, વર્ષ-૨૦૨૩-૨૪માં માધ્યમિક વિભાગ SSCનું પરિણામ ૧૦૦ ટકા અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ HSC વિજ્ઞાન પ્રવાહ બોર્ડનું ૯૭.૪૩ ટકા પરિણામ શાળાએ મેળવ્યું છે. 


ઇતર પ્રવૃતિઓમાં પણ કન્યા શાળા છે આગળ 

શાળામાં જ્ઞાનોત્સવ કાર્યક્રમ, ચક દે પરીક્ષા, સાપ્તાહિક, પખવાડિક, માસિક કસોટી, એસાઇમેન્ટ, શૈક્ષણિક પ્રોજેક્ટ, એજ્યુકેશનલ સી.ડી. દ્વારા શિક્ષણ, જુદી જુદી પધ્ધતિ મુજબ શિક્ષણ, D.T.H. શૈક્ષણિક પ્રોગ્રામ, એસ.એસ.સી.માં પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીની પુરવણી નિરીક્ષણ, તજજ્ઞો દ્વારા શાળા પરિણામ સુધારણા સહિત વિવિધ વિષય ઉપર સેમિનાર, શાળા કોચિંગ ક્લાસ, પર્સનલ કોચિંગ ક્લાસ, અંગેના સેમિનાર, સંદર્ભ પેપર સેટ મુજબ અધ્યાપન, ગૃપ આયોજન મુજબ ચર્ચાસભા, શૈક્ષણિક સાધન સામગ્રી બનાવટ, વાર્ષિક ઉત્સવનું – સ્ટુડન્ટ એવોર્ડનું આયોજન જેવી અનેક શૈક્ષણિક ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ભણવાની સાથે સાથે ઇતર પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે. જેમાં એનસીસી, વાર્ષિક અભિનંદન સમારોહ, રમતોત્સવ, વૃક્ષારોપણ અને યોગ જેવી પ્રવૃતિઓમાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર ભાગ લે છે. 

બોક્ષ- 

 છાત્રાલયમાં 'નાની નાની રોજીંદા વપરાશની ચિજ વસ્તુઓ પણ આપવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીનીઓ કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના ભણવા ઉપર ધ્યાન આપી શકે છે.'- આચાર્યશ્રી નરેન્દ્રભાઇ પટેલ


શાળાના આચાર્યશ્રી નરેન્દ્રભાઇ પટેલ આ અંગે વધુ માહિતી આપતા જણાવે છે કે, આ શાળા નિવાસી શાળા હોવાના કારણે વિદ્યાર્થીનીઓને તમામ સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે ગણવેશ, ટ્રેક શુટ, મચ્છરદાની, પલંગ, ગાદલા સહિત સાબુ, તેલ જેવી નાની નાની રોજીંદા વપરાશની ચિજ વસ્તુઓ પણ આપવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીનીઓ કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના ભણવા ઉપર ધ્યાન આપી શકે છે. શાળામાં સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપવાની સાથે નબળા બાળકો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. સવારે નાસ્તો, બપોરે ભોજન, સાંજે નાસ્તો અને રાત્રે જમવાનું આપવામાં આવે છે. જેમાં રોજ અલગ અલગ નાસ્તો અને ભોજન ગરમા ગરમ વિદ્યાર્થીનીઓને પિરસવામાં આવે છે. છેલ્લા ૦૭ વર્ષમાં ૭૫ જેટલી વિદ્યાર્થીનીઓ તથા ગત વર્ષે આ શાળાના ૧૬ વિધાર્થીનીઓએ મેડીકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો છે.


નવસારી જિલ્લા આદિજાતી વિભાગ હેઠળની આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨નાં કુમાર/કન્યાઓનું વિના મૂલ્યે શિક્ષણ અને રહેવા- જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, નવસારી જિલ્લામાં કુલ- ૪ આદર્શ નિવાસી શાળાઓ આવેલ છે. જેમાં અભ્યાસ કરીને વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ દ્વારા M.B.B.S./ B.D.S./ B.H.M.S./ Engineering જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહ્યા છે. 



ભુતપૂર્વ વિદ્યાર્થીનીઓ પાસેથી પ્રેરણા મેળવી હાલ ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતી વાંસદા તાલુકાના ચોરવણી ગામની વિદ્યાર્થીની મતતા ગમનભાઇ રાઉત પોતે મેડીકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સ્વપ્ન અંગે ચર્ચા કરી હતી. તેણી એ જણાવ્યું હતું કે, અમને શાળામાં ખુબ સારૂ શિક્ષણ મળે છે જેના કારણે હું ધોરણ ૧૦માં ૯૩ ટકા મેળવી A1 કેટેગરી સાથે શાળામાં પ્રથમ નંબરે ઉત્તિણ થઇ છું. આ પરિણામ થી મારા માતા પિતા પણ ખુબ ખુશ છે અને હુ ભવિષ્યમાં મેડીકલ ક્ષેત્રમાં જવા માંગું છું.


વંચિતોના સર્વાંગી વિકાસ માટે કટીબધ્ધ રાજ્ય સરકાર અને કર્મઠ શિક્ષકના પ્રયાસોના કારણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ગામે આવેલી આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની અનુસૂચિત જનજાતિ કલ્યાણની આદર્શ નિવાસી શાળા (એસ.ટી.) સાયન્સમાં વિવિધ જિલ્લાના વિદ્યાર્થીનીઓને રહેવા-જમવાની સુવિધા મેળવી અભ્યાસ કરી રહ્યા છે. 


"સૌનો સાથ - સૌનો વિકાસ - સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ"નો આ વિકાસમંત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને આપ્યો. આ વિકાસમંત્ર થકી દેશને વિકાસની પ્રક્રિયામાં નીત નવીન ઉપલબ્ધિઓ મેળવવામાં સતત પ્રેરણા મળી રહી છે. સમગ્ર દેશની સાથે ગુજરાત અને નવસારી જિલ્લાના આદિજાતીના વિદ્યાર્થીઓ પણ વિકાસગાથામાં પોતાનું સક્રિય યોગદાન નોંધાવી રહ્યા છે.

Post a Comment

0 Comments